જામનગર: ટાઉનહોલ ખાતે યોજાયેલ રાખી મેળો બન્યો મહિલાઓ માટે આત્મનિર્ભરતાનો સ્ત્રોત
ઓમ ટ્રેનીંગ સેન્ટરના મનોદિવ્યાંગ બાળકોએ બનાવેલી ૧૦ હજારથી વધુ રાખડીઓ બની ગ્રાહકોના આકર્ષણનું કેન્દ્ર
તહેવારોના સમયે સારી આવક પ્રાપ્ત થતા સ્વસહાય જૂથોની બહેનોએ સરકાર અને જામનગર જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો
જામનગર શહેરના ટાઉનહોલ ખાતે તા.૧૪ થી તા.૨૧ ઓગસ્ટ સુધી રાખી મેળાનું આયોજન ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લીમીટેડ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. રાખી મેળામાં સખી મંડળો અને સંસ્થાઓના ૨૦ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે. જ્યાં મહિલાઓ દ્વારા રાખડીઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. રાખી મેળામાં વ્યાજબી ભાવે તેમજ નવી વેરાયટીઓની રાખડીઓ અને અન્ય સ્વદેશી વસ્તુઓના સ્ટોલ પર ગ્રાહકો મોટી સંખ્યામાં ખરીદી કરવા આવી રહ્યા છે.
રાખી મેળામાં જામનગરની જાણીતી સંસ્થા ઓમ ટ્રેનીંગ સેન્ટરનો સ્ટોલ છે. જ્યાં સંસ્થાના મનો દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઓમ ટ્રેનીંગ સેન્ટરના રચનાબેન મહેતા જણાવે છે કે, સંસ્થાના બાળકો દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ૧૦ હજાર જેટલી રાખડીઓ બનાવવામાં આવી છે. જેમાં ડાયમંડ, મોતી, કાર્ટુન રાખડી, ભાભી રાખડીઓની અનેક વેરાયટીઓ છે. છેલ્લા ૧૦ વર્ષથી બાળકો દ્વારા વિવિધ તહેવારોને અનુલક્ષીને અવનવી વસ્તુઓ બનાવવામાં આવે છે. સ્ટોલ પર રૂ.૨૦ થી રૂ.૫૦ની રકમ સુધીની રાખડીઓ ઉપરાંત લીપણ આર્ટ અને અન્ય સુશોભનની વસ્તુઓ ઉપલબ્ધ છે. રાખડીઓના વેચાણથી જે રકમ મળશે તેનો સંસ્થામાં ઉપયોગ કરવામાં આવશે.
જ્યારે નેહાબેન દવે જણાવે છે કે, ટાઉનહોલ ખાતે સરકાર દ્વારા અમને સ્ટોલ ફાળવવામાં આવ્યો છે તે સ્ટોલ પર હાથ બનાવટની અવનવી રાખડીઓ, રેશમી દોરાની રાખડીઓ, મોતી રાખડી, બાળકો માટે ખાસ કાર્ટૂન, એલ.ઈ.ડી રાખડી સહીત વિવિધ ડિઝાઇનર રાખડીઓનું કલેકશન અમારા દ્વારા રાખવામાં આવ્યું છે. રાખી મેળાના આયોજન થકી સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે વિશેષ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. તે બદલ તંત્ર અને સરકારનો તેઓ આભાર વ્યક્ત કરે છે.
ઉપરાંત હીનાબા ચૌહાણ જણાવે છે કે, સામાન્ય રીતે કોઈ અન્ય જગ્યાએ જો વ્યક્તિગત સ્ટોલ રાખીએ તો તેનું ભાડું ઘણું વધારે હોય છે. પરંતુ રાખી મેળામાં અમને સ્ટોલ ફાળવવામાં આવ્યા જેના થકી અમે પૈસાના રોકાણ વગર રાખડીઓ સહિતની ઘર વપરાશ અને સુશોભનની વસ્તુઓનું વેચાણ કરી સારી આવક મેળવી શકીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, જામનગરના ટાઉનહોલ ખાતે આયોજિત રાખી મેળો તા.૨૧ ઓગસ્ટ સુધી દરરોજ સવારે ૧૧:૦૦થી રાત્રે ૧૦:૦૦ કલાક સુધી જનતા માટે ખુલ્લો રહેશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જામનગરના નાગરિકોને મહિલા સશક્તિકરણ અને સ્થાનિક હસ્તકલાને પ્રોત્સાહન આપતા આ રાખી મેળાનો લાભ લેવા જણાવાયું છે.