ખંભાળિયા નગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સમાં ચડત વ્યાજ માફ કરવા પાલિકાને પત્ર
ચીફ ઓફિસર દ્વારા જનરલ બોર્ડનો ઠરાવ મુલતવી રાખવાની નોંધ કરાઈ હતી
જામ ખંભાળિયા, તા. ૨૦: ખંભાળિયા નગરપાલિકા દ્વારા શહેરમાં વસૂલવાના થતા હાઉસ ટેક્સમાં ચડત ટેક્સમાં પેનલ્ટી તેમજ વ્યાજની માફી આપવા અંગે જનરલ બોર્ડ દ્વારા લેવામાં આવેલો ઠરાવ મુલતવી રાખવા સામે ઓફિસર દ્વારા ૨૫૮ અંતર્ગત આ સામે નોંધ કરાઈ હતી. આ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ચીફ ઓફિસરને લેખિત પત્ર પાઠવીને હાઉસ ટેક્સના ચડત વ્યાજની રકમ માફ કરવા અંગે જણાવાયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને પાઠવવામાં આવેલા એક પત્રમાં જણાવાયું છે કે નગરપાલિકાના એક સભ્ય દ્વારા થોડા દિવસો પૂર્વે શહેરમાં લેવાતા હાઉસ ટેક્સની ચડત રકમ પર વ્યાજ અને પેનલ્ટી માફ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. આ મુદ્દો તાજેતરની નગરપાલિકાની સામાન્ય સભામાં લઈ અને આ ઠરાવ મંજૂર કરાયો હતો. જે અંગેની મિનિટસ બુકમાં ઉપરોક્ત ઠરાવને ચીફ ઓફિસર દ્વારા તેમના અભિપ્રાયથી ૨૫૮ કરવા (મુલતવી રાખવા અંગેની) નોંધ કરાવાઈ હતી. આવું શું કામ ? જ્યારે રાજકોટ ઝોનની ધ્રોલ નગરપાલિકામાં ચડત વ્યાજ માફીની મંજૂરી આપવામાં આવે છે તો જામખંભાળિયા નગરપાલિકામાં કેમ નહીં..?
આટલું જ નહીં, નગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સ તથા અન્ય ટેકસ પર પેનલ્ટી તથા વ્યાજ લેવામાં આવે છે, તો અનેક બાકીદારોને મૂળ રકમ પર વ્યાજને ધ્યાને લઈને આવી રકમ ભરપાઈ કરવામાં નીરસતા દર્શાવવામાં આવે છે. જો નગરપાલિકા દ્વારા ખાસ યોજના હેઠળ વ્યાજ માફી લાગુ કરવામાં આવે તો નગરપાલિકાની બાકી વેરાની વસુલાત થઈ શકે છે. તેથી શહેરીજનોની સુખાકારી માટે તાત્કાલિક સરકારમાં દરખાસ્ત મંજૂરી માટે મોકલવા આ પત્રમાં જણાવાયું છે.