જામનગર નજીક ગોરધનપર ગામમાં છુટાછેડા બાદ આગળની જીંદગીની ચિંતામાં એક યુવતીએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા શોકની લાગણી ફેલાઇ છે, જયારે ધ્રોલના કાતડા ગામમાં તરૂણીને રસોઇ બાબતે ઠપકો આપતા મનમાં લાગી આવવાથી જંતુનાશક દવા પી લેતા સારવારમાં મૃત્યુ થયુ છે.
ખંભાળીયા તાલુકાના મોટી ખોખરી ગામના વતની અને હાલ જામનગરના ગોરધનપર ગ્રીનવીલા સોસાયટી શેરી નં. ૮માં રહેતી બંસીબેન નારણભાઇ આંબલીયા (ઉ.વ.૨૭) નામની યુવતિના છ મહીના પહેલા છુટછેડા થયેલ હોય અને તેમના પિતાના ઘરે રહેતા હોય, દરમ્યાન આગળની જીંદગીની ચિંતાના કારણે ગમગીન રહેતા હોય, દરમ્યાન ગઇકાલે પોતાના ઘરે પંખામાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ બનાવના કારણે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, નારણ ભીખાભાઇ આંબલીયાએ સિકકા પોલીસમાં જાણ કરવામાં આવતા એએસઆઇ સી.બી. ગાંભવા વધુ તપાસ ચલાવી રહયા છે.
બીજા બનાવમાં મુળ દાહોદના ભાણપુર ગામના વતની હાલ ધ્રોલના કાતડા ગામમાં પરસોતમભાઇની વાડીએ રહેતા ઉષાબેન સુકરમભાઇ ગણાવા (ઉ.વ.૧૬) નામની તરૂણીને રસોઇ બનાવવાનું કહેતા અને રસોઇ બનાવવામાં મોડુ થતા આ બાબતે ઠપકો આપતા તેણીને મનોમન લાગી આવતા વાડીની ઓરડીમાં પડેલા ઝેરી દવાના ડબલામાંથી દવા પી લેતા પ્રથમ પડધરી ખાનગી હોસ્પીટલમાં લઇ જવામાં આવી હતી.
ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવતા જયાં તેણીનું મૃત્યુ નિપજયુ હતું, આ બનાવ અંગે હાલ કાતડા ગામમાં રહેતા સુકરમ લીમજીભાઇ ગણાવાએ ધ્રોલ પોલીસમાં ગઇકાલે જાણ કરી હતી.